આ કળિયુગ જમાનામાં ડગલે ને પગલે ભય રૂપી દાનવ દેખા દેતો હોય છે. ભય તો પ્રાણી માત્રને આવરી બેઠો હોય છે. કીડીથી માંડીને હાથી અને માનવીથી માંડીને ઈન્દ્ર સુધી સૌને કોઈ ને કોઈ પણ રીતે ભય સતાવતો હોય છે.
ડર મનનો વિષય છે. ડરને વિચાર દ્રારા કે ભાવ દ્રારા મીટાવી શકાય છે. આજકાલ લોકોએ પરાયાથી સતર્ક તથા સાવચેત રહેવું જોઈએ. ધાસ્તી રાખવાથી સમસ્યામાં ગૂંચવાડો વધવાથી તે વ્યક્તિ હલ કરી શકતો નથી અને તેથી હતાશા આવવાથી તે વ્યક્તિ માનસિક રોગમાં ઝડપાઈ જાય છે અને તે વ્યક્તિ બીજા લોકો પર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી અલબત્ત માનવીએ સમજવું જોઈએ કે તકદીર તો પહેલેથીજ ઘડાયેલું હોય છે જેમા કોઈ ફરક પડવાનો નથી. જેથી કોઈ ડર રાખવાથી ફાયદો થવાનો નથી. પરંતુ બિનધાસ્ત બની જવાથી તે વ્યક્તિનાં પ્રભાવમાં તેજ ઓસરતો નથી અને કોઈ માનસિક તાણ પણ આવતી ન હોવાથી તેનામાં સ્ફૂર્તિનો ફુવારો જળવાઈ રહે છે.
*કોઈને ખરાબ લાગશે* અથવા *મારા માટે લોકો શું ધારશે,* તેવી પરવા છોડી બેપરવા બની જવું જોઈએ અને પોતાનો આત્મા શું ધારે છે તેને જ પ્રાધાન્ય આપવું જોઈએ. પરંતુ સાથે સાથે પોતાની વર્તણૂકથી બીજાને દુ:ખ આપવાનો ઈરદો હોવો ન જોઈએ. બિનધાસ્ત રહેવાથી સામેવાળી વ્યક્તિ પોતાને હેરાન ન કરતાં સીધેસીધી ચાલશે. સમાજમાં બીજાની પરવા કરતા રહેવાથી પોતે કદી ઊંચો આવી શકશે નહિ. પરંતુ આ આધુનિક જમાનામાં લોકો બીજાઓની પરવા તથા બીજાઓની પંચાત કરતાં થઈ ગયાં છે.
બિનધાસ્ત રહેવું એ વીરતાનો એક અંશ ગણાય છે તથા બિનધાસ્ત રહેવાથી માનવી ધૈર્યવાન, હિમંતવાન તથા નીડર બની શકે છે. માનવીએ અમુક વખત પગલું ભરવામાં બિનધાસ્ત રહેવું જોઈએ નહિતર જીવનમાં આવેલી તક ગુમાવી દેતા તેને જિંદગીભર અફસોસ કરવો પડે છે. આજના જમાનામાં જો માનવી બિનધાસ્ત, ધૈર્યવાન, હિમંતવાન કે નીડર નહિ રહે તો લોકો તેની અવગણના કરશે તથા બાયલો ગણશે. મનમાં ડર રાખીને બીજા લોકો જોડે હળતા મળતા રહેવાથી લોકો તેની જોડે વ્યવહાર કરતા વિચારશે. પરંતુ પોતાનો હસતો ચહેરો રાખવાથી તથા બિનધાસ્ત હોવાની ઝલક વદન પર રાખવાથી લોકો તેની જોડે વ્યવહાર કરતાં અચકાશે નહિ તથા લોકોનો તેનામાં વિશ્વાસ પણ ટકી રહેશે.
મા-બાપ, વડિલ કે શિક્ષકોએ બાળકોને બાળપણથી જ શૂરવીરનો ઈતિહાસ, વીરતાનો વાતો સંભળાવી તેઓને નીડર બનાવવા જોઈએ…
બિનધાસ્ત માનવીને ચિંતા ન રહેવાથી કોઈ પણ કપરા સંજોગોમાંથી તે સહેલાઈથી પસાર થઈ શકે છે તથા તે વ્યક્તિનો ચહેરો હરહમેંશ પ્રફુલ્લિત રહેશે.
લેખક :– શ્રેણિક દલાલ….. શ્રેણુ