Groundnut Oil Prices રાજકોટ : હાલ ગુજરાતીઓને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન મોંઘવારી છે. ખાદ્યતેલના ભાવમાં સતત એક મહિનાથી ભડકો થઈ રહ્યો છે. સરકારના એક નિર્ણયને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા અને હવે ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે. સરકારે આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા તેલ, સિંગતેલ અને પામ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

સરકારે આયાત ડ્યુટી વધારે
સરકારે ગત શુક્રવારે ખાદ્ય તેલો પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો હતો. ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયા. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયું. ડ્યુટી વધારી તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં 17 ટકા સુધીનો વધારો થયો.

આજે પણ ભાવ વધ્યા
આજે રાજકોટમાં ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો થયો. લેટેસ્ટ અપડેટ અનુસાર, કપાસિયા અને પામ તેલમાં રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો. તો સનફ્લાવર તેલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 50 રૂપિયાનો વધારો થયો. આયાત ડ્યુટી વધ્યા બાદ હાજર માલની ખેંચના બહાના હેઠળ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહમાં જ તમામ સાઈડ થયેલોમાં 225 થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો 2080 થી વધીને 2130 રૂપિયા થયો. તો પામ તેલનો ડબ્બો 1885 થી વધીને 1935 રૂપિયા થયો.

હવે સરકારને માથે આવ્યું
તેલના ભાવ ઉંચકાતા હવે સરકારે તાત્કાલિક બેઠક બોલાવી અને ઉત્પાદકોને તેલના ભાવ ન વધારવા અનુરોધ કર્યો. જોકે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાથી કંઈ નહિ થાય. તેમાં પ્રજાને જ પીસાવાનું આવશે.

  • 12 સપ્ટેમ્બરે સોયાબીન તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 1850 રૂપિયા હતો, જે 19 સપ્ટેમ્બર સુધીમાં 200 રૂપિયા વધીને 2050 થયો
  • પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 1750 હતો તેમાં 300 રૂપિયા વધીને 2050 થયો
  • સનફલાવર તેલનો ભાવ 1780 રૂપિયા હતો, સામે 220 રૂપિયા વધીને 2000 રૂપિયા પર પહોંચી ગયો

તેલના ભાવમાં 17 ટકા સુધીનો વધારો
ગત સપ્તાહમાં ખાદ્ય તેલો પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયો હતો. આ વધારાની સાથે જ તેલના ભાવમાં 10 થી 17 ટકાનો વધારો ઝીંકાયો હતો.