Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાયા બાદ તેને અમદાવાદ લવાયો હતો. ત્યારબાદ ગુરૂવારે એટલે કે 14 નવેમ્બરે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આજે શુક્રવારે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સરકારી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ભાગતો ફરતો હતો. પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસ દરમિયાન પુરતો સપોર્ટ આપ્યો નથી. હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયાર (છરી)ને ફેંકી દીધી હતી તે જગ્યા વિશે પણ જણાવ્યું નથી. આરોપી 15 વર્ષથી પોલીસખાતામાં ફરજ બજાવતો હોવાથી કાયદાનો જાણકાર છે.
આ ઉપરાંત ગુનો આચર્યો તે સમયે તેણે પહરેલા કપડાં મેળવવાના બાકી છે, કારણ કે તેના પરથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. તે પંજાબ ભાગી ગયો ત્યારે તે રસ્તામાં ક્યાં રોકાયો? કોણે તેની મદદ કરી. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ ખુલ્યું
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં એક પોલીસકર્મીનું નામ પણ ખુલ્યું છે. આ ઘટનામાં દિનેશ ઉર્ફે ડી.કે. નામના પોલીસકર્મીનું પણ નામ ખુલ્યું છે, દિનેશ ઘટના સમયે હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે હતો અને દિનેશ જ કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ દિનેશે હત્યા હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની ઘટના બાદ ભાગવામાં મદદ કરી હતી. હવે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
શું હતી ઘટના?
ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું