આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે, તેમના પહેલા ભાજપમાંથી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
દિલ્હીની કાલકાજી સીટ પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા આતિશી કેજરીવાલ સરકારમાં મોટાભાગના વિભાગો સંભાળતા હતા.
તેઓ અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના માનવામાં આવે છે. જ્યારથી કેજરીવાલે રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે આતિશીને દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. હવે આ અંગે ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી છે. AAP ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આતિશીને કેમ મળી સીએમની ખુરશી?
1. આતિશી અન્ના આંદોલન પહેલા પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે સંકળાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નામની ભલામણ મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી છે.
2. આતિશી એક મહિલા છે અને આપની નજર દેશની અડધી વસ્તી પર છે. AAP હવે આતિશીના માધ્યમથી અડધી વસ્તીને આકર્ષવાનો પ્રયાસ કરશે.
3. આતિશીને ખુરશી મળવાનું સૌથી મોટું કારણ તેની વિશ્વાસપાત્રતા છે. અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાં હતા ત્યારે પણ તેમણે તેમના સ્થાને ધ્વજ ફરકાવવા માટે આતિષશીના નામની ભલામણ કરી હતી.
4. સ્વાતિ માલીવાલ કેસ બાદ અરવિંદ કેજરીવાલની પાર્ટી મહિલાઓના મુદ્દાઓ પર બેકફૂટ પર હતી. તેને ડેમેજ કંટ્રોલના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી દિલ્હીના CM કોણ રહી ચૂક્યા છે?
1952માં ચૌધરી બ્રહ્મ પ્રકાશ દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તે હરિયાણાના રેવાડી જિલ્લામાંથી દિલ્હી સ્થળાંતરિત થયા હતા. બ્રહ્મપ્રકાશ આહીર સમાજના હતા. શીખ સમુદાયમાંથી આવેલા ગુરુમુખ નિહાલ સિંહ દિલ્હીના બીજા મુખ્યમંત્રી બન્યા.
દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતા
આ પછી વર્ષો સુધી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થઈ ન હતી. 1993માં જ્યારે ચૂંટણી થઈ, ત્યારે ભાજપની જીત થઈ અને મદનલાલ ખુરાનાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ખુરાના પંજાબી ખત્રી સમુદાયના હતા. ખુરાના પછી જાટ સમુદાયમાંથી આવેલા સાહિબ સિંહ વર્માને દિલ્હીની કમાન સોંપવામાં આવી. ખુરાના અને સાહિબ સિંહ વર્મા પછી સુષ્મા સ્વરાજને પણ દિલ્હીની ખુરશી સોંપવામાં આવી હતી. પંજાબી બ્રાહ્મણ સમુદાય સાથે જોડાયેલા સુષ્મા માત્ર 52 દિવસ દિલ્હીના મુખ્યમંત્રી રહી શક્યા.
સુષ્મા પછી શીલા દીક્ષિતને દિલ્હીની ગાદી મળી. ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારમાંથી આવતા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતા. શીલા દીક્ષિત પછી વૈશ્ય સમાજના અરવિંદ કેજરીવાલ દિલ્હીની ગાદી પર બેઠા.