Developed India Sankalp Conference and Gaurav Samman Ceremony–2026
ગાંધીનગર : વિકસિત ભારત સંકલ્પ સંસ્થા દ્વારા *”વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા ગૌરવ સન્માન સમારોહ–2026″*નું આયોજન આવતીકાલે શનિવાર, તા. 27 જૂન, 2026ના રોજ ગાંધીનગરના કડવા પાટીદાર સમાજ, ઉમિયા માતાજી સંસ્થાન હોલ, સેક્ટર–12 ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:00 વાગ્યાથી થશે, જ્યારે ઉદ્ઘાટન સત્ર સવારે 10:30 વાગ્યે યોજાશે. દેશના સર્વાંગી વિકાસના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓના સન્માનના ઉદ્દેશ સાથે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન વૈદિક હવન અને રાષ્ટ્ર યજ્ઞ, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, વિશિષ્ટ મહાનુભાવોના પ્રેરક ઉદ્બોધન, ગૌરવ સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્મારિકા વિમોચન, પંચતત્વ પૂજન તેમજ રાષ્ટ્રીય સંકલ્પ સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા રાષ્ટ્રનિર્માણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા “પંચ તત્વ સંસર્ગ અભિયાન” અંગે પણ માહિતી આપવામાં આવશે, જેમાં જનશક્તિ, જળ, માટી, અન્ન અને દાન જેવા પાંચ આધારસ્તંભો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, સામાજિક આગેવાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે
આ સમગ્ર આયોજન આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી ડો. મહેશ શર્માજી, મહામંત્રી વિશાલ પંડ્યા અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી લલિત રાજપરાના માર્ગદર્શન હેઠળ યોજાશે.

