Lawyers for One Nation One Election

અમદાવાદ : લોયર્સ ફોર વન નેશન વન ઈલેક્શન ગુજરાત રાજ્ય એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આદરણીય શ્રી રવિકુમાર ત્રિપાઠી સાહેબની અધ્યક્ષતામાં તથા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર આદરણીય શ્રી સંજય પ્રસાદ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વન નેશન વન ઈલેક્શનના દેશ અને સમાજને ફાયદા વિશે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું.

પૂર્વ ન્યાયાધીશ આદરણીય શ્રી રવિકુમાર ત્રિપાઠી સાહેબે સૌ વકીલોને સંબોધતા જણાવ્યું હતું કે “દેશની આઝાદી થી ૧૯૬૭ સુધી લોકસભા અને દરેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થતી હતી. પરંતુ ત્યારબાદ પોતાના અંગત સ્વાર્થને કારણે જેતે વખતની સરકારે આ વ્યવસ્થા બદલીને રાજ્યોની અલગ અલગ ચુંટણીઓ શરૂ કરી. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ચુંટણી આવે ત્યારે આશરે ૧૫૦ થી ૨૦૦ દિવસ ઈલેક્શન મોડ ચાલે છે અને તેના પરિણામે કોઈ પણ પ્રકારના વિકાસના કામો કે પ્રજાલક્ષી કામો આગળ વધારી શકાતા નથી. સામાન્ય નાગરિક જ્યારે સરકારી કચેરીમાં કામ લઈને જાય છે ત્યારે સાહેબ ઈલેક્શન ડ્યુટીમાં છે તેવા જવાબ મળે છે. તેનાથી પણ વિશેષ વાત કરીએ તો જે રાજ્યમાં ચુંટણી હોય તેના પાડોશી રાજ્યમાં પણ તેની અસર જોવા મળે છે. કારણ કે પાડોશી રાજ્યોમાંથી પણ ઓબ્ઝર્વર તરીકે આઈ.એ.એસ કક્ષાના અધિકારીઓને જવાનું થાય છે. પરિણામે એક રાજ્યનું ઈલેક્શન કરોડો રૂપિયાના જનહિતના કામોને સ્થગિત કરે છે. વન નેશન વન ઈલેક્શનથી પાંચ વર્ષમાં એક જ વાર આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિશેષમાં જે રીજનલ પાર્ટીઓ છે તેમની પાસે ચુંટણી લડવા માટે ભંડોળ ખૂબ ઓછું હોય છે, વારંવાર આવતી ચુંટણીઓ થી તોઓ નેશનલ પાર્ટી જેટલો ખર્ચ કરી શકતા નથી. જેથી વન નેશન વન ઈલેક્શન આવી તમામ રીજનલ પાર્ટીઓ માટે પણ ફાયદાકારક બની રહેશે. વન નેશન વન ઈલેક્શન એ દેશ હીત માટે ખૂબ જરૂરી છે ત્યારે અહીયાં બેઠેલાં દરેક વકીલ પોતાના વર્તુળમાં સૌને માહીતગાર કરે તેવી મારી લાગણી છે.”

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર આદરણીય શ્રી સંજય પ્રસાદ સાહેબે સૌને સંબોધતા જણાવ્યું હતું કે “રાજકીય અસ્થિરતા અને પોતાની સરકાર બચાવવા અલગ અલગ ચુંટણી કરાવવાનું જેતે સમયે શરૂ થયું ત્યારબાદ સમયાંતરે ઘણી બધી સંસ્થાઓ અને કમિટી દ્વારા વન નેશન વન ઈલેક્શન માટે ભલામણ સરકાર સામે મૂકાતી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૩ માં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી રામનાથ કોવિંદજી ની અધ્યક્ષતામાં બનેલ કમિટીમાં સર્વ પક્ષોના પ્રતિનિધિ દ્વારા સર્વ સંમતિથી વન નેશન વન ઈલેક્શન માટે ભલામણ સબમિટ કરવામાં આવી. ત્યારબાદ તેના અમેન્ડમેન્ટ માટેની જોગવાઈઓ માટે કમિટી બની છે. આપણો દેશ અને આપણી સંસ્કૃતિ વર્ષોથી લોકતાંત્રિક પદ્ધતિથી જ ચાલી રહ્યો છે અને આ વન નેશન વન ઈલેક્શન પણ લોકતાંત્રિક પદ્ધતિથી જ અમલમાં આવવાનું છે. ચુંટણી પ્રણાલીમાં ડાયરેક્ટ ખર્ચ અને ઈન ડાયરેક્ટ ખર્ચ જોવા જઈએ તો પ્રતિ મતદાર ૧૪૦૦ થી પણ વધારે છે. સાથે કોઈ પણ વિભાગના કર્મચારી પોતાના વિભાગના કામ સ્થગિત કરીને ચુંટણી કાર્યોમાં જોડાય છે તેનાથી તેમના વિભાગમાં પણ આર્થિક બોજો આવે છે. દેશના વડાપ્રધાન થી લઇને રાજ્યોના મુખ્યમંત્રી પાંચ વર્ષમાં લગભગ ચાર વર્ષ અલગ અલગ ચુંટણીઓમાં જ વ્યસ્ત રહે છે. દેશના અર્થતંત્રમાં વન નેશન વન ઈલેક્શનથી હજારો કરોડની બચત થઈ શકે છે. વિકાસલક્ષી કાર્યોમાં ઝડપ આવશે.”

આજના આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી વિજય શર્માજી એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે “દેશની અખંડિતતાના રક્ષક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ વકિલ હતા તે વાતનું મને ગર્વ છે. દેશના નાગરિકોના મુળભુત અધિકારોના રક્ષણની આપણા ઉપર જવાબદારી છે તેજ રીતે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે દેશહિતને સર્વોપરી માની વન નેશન વન ઈલેક્શન ની વાત સામાન્ય નાગરિક સુધી પહોચાડવી જોઈએ.” અને વધુમાં જણાવ્યું હતું કે મતદારો મતદાનના દિવસે મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચે એ માટેનો ખર્ચ પ્રતિ મતદાર એક સર્વે મુજબ ૧૪૦૦ રૂપિયા જેટલો થાય છે. મતદારો મતદાન કરવા જાય કે ના જાય તો પણ દરેક મતદાનની મતદાન વ્યવસ્થાના ખર્ચ ૧૪૦૦ રૂપિયા થાય છે. આમ વિકસિત ભારત બનવું હશે તો દેશમાં રાજ્યો અને લોક સભાની ચૂંટણી એકસાથે કરી વિકસિત ભારત માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય છે.

કાર્યક્રમની શરૂઆત પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર સૌને ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી.

આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી આર આર ત્રિપાઠી સાહેબ (ભૂતપૂર્વ જસ્ટિસ, હાઇકોર્ટ ઓફ ગુજરાત)
શ્રી સંજય પ્રસાદ સાહેબ (ભૂતપૂર્વ ચીફ ઇલેકશન કમિશનર – સ્ટેટ ઓફ ગુજરાત), ડૉક્ટર. અનિલ પટેલ
એડવોકેટ વિજય શર્મા, અનિલ કેલ્લા ફાયનાન્સ કમિટી ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ભરત ભગત – સભ્ય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, રાજેશ પારેખ ( પ્રમુખ – ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિયેશન), હાર્દિક બ્રહ્મભટ્ટ ( સેક્રેટરી- ગુજરાત હાઇકોર્ટ), દેવ કેલ્લા – એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશન, પૂજન પંડ્યા – કમિટી મેમ્બર, અમદાવાદ કોર્ટ બાર એસોસિએશન, અશ્વિન પટેલ – પૂર્વ સેક્રેટરી, ઘી કાંટા કોર્ટ, ભાવિકા રાઠોડ – મહિલા રિપ્રેઝન્ટેટિવ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિયેશન, જય રામી – કારોબારી સભ્ય, ઘીકાંટા કોર્ટ તથા અન્ય મહાનુભાવો અને વિવિધ બાર ના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.